યોહાન ૮:૧૨-૫૯

  • ઈસુ વિશે પિતા સાક્ષી આપે છે (૧૨-૩૦)

    • ઈસુ “દુનિયાનો પ્રકાશ” (૧૨)

  • ઇબ્રાહિમનાં બાળકો (૩૧-૪૧)

    • “સત્ય તમને આઝાદ કરશે” (૩૨)

  • શેતાનનાં બાળકો (૪૨-૪૭)

  • ઈસુ અને ઇબ્રાહિમ (૪૮-૫૯)

 ૧૨  પછી ઈસુએ યહૂદીઓને ફરીથી કહ્યું: “હું દુનિયાનો પ્રકાશ છું.+ જે કોઈ મારે પગલે ચાલે છે, તે કદીયે અંધકારમાં ચાલશે નહિ. પણ તે જીવનનો પ્રકાશ મેળવશે.”+ ૧૩  ફરોશીઓએ તેમને કહ્યું: “તું પોતાના વિશે સાક્ષી આપે છે. તારી સાક્ષી સાચી નથી.” ૧૪  ઈસુએ કહ્યું: “હું મારા પોતાના વિશે સાક્ષી આપું તોપણ મારી સાક્ષી સાચી છે, કારણ કે હું ક્યાંથી આવ્યો છું અને ક્યાં જવાનો છું એની મને ખબર છે.+ પણ તમે નથી જાણતા કે હું ક્યાંથી આવ્યો છું અને ક્યાં જવાનો છું. ૧૫  તમે માણસોના વિચારો પ્રમાણે ન્યાય કરો છો.+ હું કોઈ માણસનો ન્યાય કરતો જ નથી. ૧૬  જો હું ન્યાય કરું તોપણ મારો ન્યાય સાચો છે, કેમ કે હું એકલો નથી. મને મોકલનાર પિતા મારી સાથે છે.+ ૧૭  તમારા નિયમશાસ્ત્રમાં પણ એમ લખેલું છે કે ‘બે માણસોની સાક્ષી સાચી છે.’+ ૧૮  હું મારા પોતાના વિશે સાક્ષી આપું છું અને મને મોકલનાર પિતા પણ મારા વિશે સાક્ષી આપે છે.”+ ૧૯  તેઓએ પૂછ્યું: “તારા પિતા ક્યાં છે?” ઈસુએ જવાબ આપ્યો: “તમે નથી મને જાણતા કે નથી મારા પિતાને.+ જો તમે મને જાણતા હોત, તો તમે મારા પિતાને પણ જાણતા હોત.”+ ૨૦  મંદિરમાં દાન-પેટીઓ+ હતી ત્યાં શીખવતી વખતે તેમણે આ વાતો કહી. પણ કોઈ તેમને પકડી શક્યું નહિ, કેમ કે તેમનો સમય હજુ આવ્યો ન હતો.+ ૨૧  તેમણે ફરીથી તેઓને કહ્યું: “હું જાઉં છું અને તમે મને શોધશો. પણ તમે તમારાં પાપમાં મરણ પામશો.+ હું જ્યાં જાઉં છું ત્યાં તમે આવી શકતા નથી.”+ ૨૨  યહૂદીઓ કહેવા લાગ્યા: “શું તે આપઘાત કરવાનો છે? કેમ કે તે કહે છે, ‘હું જ્યાં જાઉં છું ત્યાં તમે આવી શકતા નથી.’” ૨૩  ઈસુએ કહ્યું: “તમે પૃથ્વીના છો અને હું સ્વર્ગનો છું.+ તમે આ દુનિયાના છો. પણ હું આ દુનિયાનો નથી. ૨૪  એટલે મેં તમને કહ્યું: તમે તમારાં પાપમાં મરણ પામશો. જે આવનાર છે એ હું જ છું, એવું તમે નહિ માનો તો તમે તમારાં પાપમાં મરણ પામશો.” ૨૫  તેઓ તેમને કહેવા લાગ્યા: “તું છે કોણ?” ઈસુએ તેઓને કહ્યું: “તમે કંઈ સમજતા જ નથી તો હું શું કામ તમારી સાથે વાત કરું? ૨૬  તમારા વિશે મારે ઘણું કહેવાનું છે અને ઘણી વાતોનો ન્યાય કરવાનો છે. હકીકતમાં મને મોકલનાર સાચા છે અને તેમની પાસેથી મેં જે કંઈ સાંભળ્યું છે, એ જ હું દુનિયાને જણાવું છું.”+ ૨૭  ઈસુ તેઓને પિતા વિશે જે કહેતા હતા, એ તેઓને સમજાયું નહિ. ૨૮  ઈસુએ કહ્યું: “તમે માણસના દીકરાને વધસ્તંભ* પર મારી નાખશો+ ત્યારે તમે જાણશો કે હું તે જ છું.+ હું મારી પોતાની રીતે કંઈ કરતો નથી.+ પણ પિતાએ મને શીખવ્યું છે તેમ આ બધી વાતો કહું છું. ૨૯  મને મોકલનાર મારી સાથે છે. તેમણે મને એકલો મૂકી દીધો નથી, કારણ કે હું હંમેશાં એવાં જ કામો કરું છું જે તેમને પસંદ છે.”+ ૩૦  તેમની આ વાતો સાંભળીને ઘણાએ તેમનામાં શ્રદ્ધા મૂકી. ૩૧  જે યહૂદીઓએ શ્રદ્ધા મૂકી હતી, તેઓને ઈસુ કહેવા લાગ્યા: “જો તમે મારા શિક્ષણ પ્રમાણે જીવશો, તો તમે સાચે જ મારા શિષ્યો છો. ૩૨  તમે સત્ય જાણશો+ અને સત્ય તમને આઝાદ કરશે.”+ ૩૩  બીજાઓએ કહ્યું: “અમે ઇબ્રાહિમના વંશજો છીએ અને કદી પણ કોઈના ગુલામ બન્યા નથી. તો પછી તું કેમ કહે છે કે ‘તમે આઝાદ થશો’?” ૩૪  ઈસુએ જવાબ આપ્યો: “હું તમને સાચે જ કહું છું કે જે કોઈ પાપ કરે છે, તે પાપનો ગુલામ છે.+ ૩૫  માલિકના ઘરમાં ગુલામ કાયમ નથી રહેતો, પણ દીકરો કાયમ રહે છે. ૩૬  જો દીકરો તમને આઝાદ કરે, તો તમે ખરેખર આઝાદ થશો. ૩૭  હું જાણું છું કે તમે ઇબ્રાહિમના વંશજો છો. પણ તમે મારું શિક્ષણ સ્વીકારવા ચાહતા નથી, એટલે તમે મને મારી નાખવા માંગો છો. ૩૮  હું મારા પિતા સાથે હતો ત્યારે મેં જે જોયું હતું એ તમને જણાવું છું.+ પણ તમે તમારા પિતા પાસેથી જે સાંભળ્યું છે એ કરો છો.” ૩૯  તેઓએ કહ્યું: “અમારા પિતા તો ઇબ્રાહિમ છે.” ઈસુએ કહ્યું: “જો તમે ઇબ્રાહિમનાં બાળકો હોત,+ તો તમે ઇબ્રાહિમ જેવાં કામો કરતા હોત. ૪૦  ઈશ્વર પાસેથી સાંભળેલું સત્ય મેં તમને જણાવ્યું, પણ તમે તો મને મારી નાખવા માંગો છો.+ ઇબ્રાહિમે કદી પણ એવું કર્યું ન હોત. ૪૧  તમે તમારા પિતા જેવાં કામો કરો છો.” તેઓએ કહ્યું: “અમે કંઈ વ્યભિચારથી* જન્મેલા નથી. અમારા એક જ પિતા છે, ઈશ્વર.” ૪૨  ઈસુએ તેઓને કહ્યું: “જો ઈશ્વર તમારા પિતા હોત, તો તમે મને પ્રેમ કર્યો હોત.+ હું ઈશ્વર પાસેથી આવ્યો છું અને તેમના લીધે હું અહીં છું. હું પોતાની મરજીથી આવ્યો નથી, પણ તેમણે મને મોકલ્યો છે.+ ૪૩  પણ તમે મારું શિક્ષણ સ્વીકારવા ચાહતા નથી, એટલે તમે એ સમજી શકતા નથી. ૪૪  તમે તમારા બાપ શેતાનના* છો અને તમારા બાપની ઇચ્છા પ્રમાણે કરવા ચાહો છો.+ તે શરૂઆતથી* જ ખૂની હતો.+ તે સત્યમાં ટકી રહ્યો નહિ, કારણ કે તેનામાં સત્ય નથી. તે પોતાના સ્વભાવ પ્રમાણે જૂઠું બોલે છે, કારણ કે તે જૂઠો અને જૂઠાનો બાપ છે.+ ૪૫  જ્યારે કે હું તમને સત્ય જણાવું છું, તોપણ તમે મારું માનતા નથી. ૪૬  તમારામાંનો કોણ મને પાપી ઠરાવે છે? જો હું સત્ય બોલું છું તો તમે મારું કેમ માનતા નથી? ૪૭  જે ઈશ્વરનો છે, તે ઈશ્વરની વાતો સાંભળે છે.+ તમે એટલા માટે નથી સાંભળતા, કારણ કે તમે ઈશ્વરના નથી.”+ ૪૮  યહૂદીઓએ તેમને કહ્યું: “શું અમે સાચું નથી કહેતા કે ‘તું સમરૂની+ છે અને તારામાં દુષ્ટ દૂત છે’?”+ ૪૯  ઈસુએ કહ્યું: “મારામાં દુષ્ટ દૂત નથી. પણ હું મારા પિતાને માન આપું છું અને તમે મારું અપમાન કરો છો. ૫૦  મને મહિમા મળે એવું હું ચાહતો નથી.+ પણ ઈશ્વર ચાહે છે કે મને મહિમા મળે અને તે ન્યાયાધીશ છે. ૫૧  હું તમને સાચે જ કહું છું કે જો કોઈ મારું શિક્ષણ પાળે, તો તે કદી મરશે નહિ.”+ ૫૨  યહૂદીઓએ તેમને કહ્યું: “હવે તો અમને પાકી ખાતરી થઈ છે કે તારામાં દુષ્ટ દૂત છે. ઇબ્રાહિમ મરણ પામ્યા અને પ્રબોધકો પણ. તું કહે છે કે ‘જો કોઈ મારું શિક્ષણ પાળે તો તે કદી મરશે નહિ.’ ૫૩  શું તું અમારા પિતા ઇબ્રાહિમ કરતાં મહાન છે? ઇબ્રાહિમ મરણ પામ્યા અને પ્રબોધકો પણ મરણ પામ્યા. તો પછી તું પોતાને શું સમજે છે?” ૫૪  ઈસુએ કહ્યું: “જો હું પોતાને મહિમા આપું તો એ મહિમાની કોઈ કિંમત નથી. મને મહિમા આપનાર તો મારા પિતા છે,+ જેમને તમે તમારા ઈશ્વર કહો છો. ૫૫  તોપણ તમે તેમને જાણતા નથી,+ પણ હું જાણું છું.+ જો હું કહું કે તેમને જાણતો નથી તો હું તમારા જેવો જૂઠો છું. પણ હું તો તેમને જાણું છું અને તેમનું કહેવું માનું છું. ૫૬  તમારા પિતા ઇબ્રાહિમને ઘણો આનંદ થયો હતો, કારણ કે તેમને મારો સમય જોવાની આશા હતી. તેમણે એ સમય જોયો પણ ખરો અને ઘણા ખુશ થયા.”+ ૫૭  યહૂદીઓએ કહ્યું: “તું તો હજુ ૫૦ વર્ષનો પણ નથી અને તેં ઇબ્રાહિમને જોયા છે?” ૫૮  ઈસુએ કહ્યું: “હું તમને સાચે જ કહું છું કે ઇબ્રાહિમનો જન્મ થયો એ પહેલાંથી હું છું.”+ ૫૯  એ સાંભળીને તેઓએ તેમને મારવા પથ્થર ઉપાડ્યા. પણ ઈસુ સંતાઈ ગયા અને મંદિરની બહાર નીકળી ગયા.

ફૂટનોટ

શબ્દસૂચિમાં “ડીઆબોલોસ” જુઓ.
એટલે કે, તે ઈશ્વર વિશે જૂઠું બોલ્યો ત્યારથી.