માથ્થી ૧૦:૧-૪૨

  • ૧૨ પ્રેરિતો (૧-૪)

  • પ્રચારની સૂચનાઓ (૫-૧૫)

  • શિષ્યોની સતાવણી થશે (૧૬-૨૫)

  • ઈશ્વરનો ડર રાખો, માણસોનો નહિ (૨૬-૩૧)

  • શાંતિ નહિ, પણ ભાગલા (૩૨-૩૯)

  • ઈસુના શિષ્યોનો સ્વીકાર કરવો (૪૦-૪૨)

૧૦  પછી ઈસુએ પોતાના ૧૨ શિષ્યોને પાસે બોલાવ્યા. તેમણે તેઓને લોકોમાંથી ખરાબ દૂતો* કાઢવાનો, બધી જાતના રોગ મટાડવાનો અને સર્વ પ્રકારની કમજોરી દૂર કરવાનો અધિકાર આપ્યો.+ ૨  એ ૧૨ પ્રેરિતોનાં* નામ આ છે:+ પહેલો, સિમોન જે પિતર*+ કહેવાય છે અને તેનો ભાઈ આંદ્રિયા;+ યાકૂબ અને તેનો ભાઈ યોહાન, જેઓ ઝબદીના દીકરાઓ હતા;+ ૩  ફિલિપ અને બર્થોલ્મી;*+ થોમા+ અને કર ઉઘરાવનાર માથ્થી;*+ અલ્ફીનો દીકરો યાકૂબ; થદ્દી;* ૪  સિમોન કનાની;* અને યહૂદા ઇસ્કારિયોત, જેણે પછીથી ઈસુને દગો દીધો.+ ૫  એ ૧૨ને ઈસુએ આ સૂચનો આપીને મોકલ્યા:+ “જેઓ યહૂદીઓ નથી તેઓના વિસ્તારમાં અને સમરૂનીઓના* કોઈ શહેરમાં જશો નહિ.+ ૬  ફક્ત ઇઝરાયેલના ઘરનાં ખોવાયેલાં ઘેટાં પાસે જાઓ.+ ૭  તમે જ્યાં જાઓ ત્યાં પ્રચાર કરો: ‘સ્વર્ગનું રાજ્ય પાસે આવ્યું છે.’+ ૮  બીમાર લોકોને સાજા કરો,+ મરણ પામેલાને જીવતા કરો, રક્તપિત્તિયાઓને* શુદ્ધ કરો અને ખરાબ દૂતોને લોકોમાંથી કાઢો. તમને મફત મળ્યું છે, મફત આપો. ૯  તમારા કમરપટ્ટામાં સોના કે ચાંદી કે તાંબાના સિક્કા ન લો.+ ૧૦  તમારી મુસાફરી માટે ખોરાકની થેલી ન લો. બે કપડાં,* ચંપલ કે લાકડી પણ ન લો.+ કામ કરનાર ભોજન મેળવવા માટે હકદાર છે.+ ૧૧  “તમે જે કોઈ શહેર કે ગામમાં જાઓ ત્યાં તમને અને તમારા સંદેશાને સ્વીકારવા કોણ યોગ્ય છે, એની તપાસ કરો. તમે ત્યાંથી નીકળતા સુધી ત્યાં જ રહો.+ ૧૨  તમે ઘરમાં જાઓ ત્યારે ઘરના લોકોને સલામ કહો, ‘તમને શાંતિ થાઓ.’ ૧૩  જો એ ઘરના લોકો યોગ્ય હશે તો એ શાંતિ તેઓ પર આવશે.+ પણ જો તેઓ યોગ્ય નહિ હોય તો એ શાંતિ તમારી પાસે પાછી આવશે. ૧૪  જ્યાં પણ કોઈ તમારો સ્વીકાર ન કરે કે તમારી વાતો ન સાંભળે, ત્યાં એ શહેર કે ઘરની બહાર જઈને તમારા પગની ધૂળ ખંખેરી નાખો.*+ ૧૫  હું તમને સાચે જ કહું છું કે ન્યાયના દિવસે* એ શહેર કરતાં, સદોમ અને ગમોરાહની+ દશા વધારે સારી હશે. ૧૬  “જુઓ! હું તમને વરુઓની વચ્ચે ઘેટાં જેવાં મોકલું છું. તમે સાપ જેવા ચાલાક પણ કબૂતર જેવા નિર્દોષ સાબિત થાઓ.+ ૧૭  લોકોથી સાવધ રહેજો, કેમ કે તેઓ તમને અદાલતોમાં સોંપી દેશે+ અને તેઓ પોતાનાં સભાસ્થાનોમાં+ તમને કોરડા મરાવશે.+ ૧૮  મારા લીધે તમને રાજ્યપાલો અને રાજાઓની સામે લઈ જવાશે,+ જેથી તેઓને અને બીજી પ્રજાના લોકોને સાક્ષી મળે.+ ૧૯  તેઓ તમને પકડાવે ત્યારે ચિંતા ન કરતા કે તમે કેવી રીતે બોલશો અથવા શું બોલશો. તમારે જે કહેવાનું છે એ તમને એ સમયે જણાવવામાં આવશે.+ ૨૦  એ માટે કે બોલનાર ફક્ત તમે જ નથી, પણ તમારા પિતાની પવિત્ર શક્તિ તમારા દ્વારા બોલે છે.+ ૨૧  ભાઈ ભાઈને અને પિતા બાળકને મારી નંખાવશે. બાળકો પોતાનાં માબાપ સામે થશે અને તેઓને મારી નંખાવશે.+ ૨૨  તમે મારા શિષ્યો છો એટલે* બધા લોકો તમારો ધિક્કાર કરશે.+ પણ જેણે અંત સુધી ધીરજ રાખીને સહન કર્યું છે* તેનો જ ઉદ્ધાર થશે.+ ૨૩  તેઓ એક શહેરમાં તમારી સતાવણી કરે ત્યારે, બીજા શહેરમાં નાસી જાઓ.+ હું તમને સાચે જ કહું છું કે તમે ઇઝરાયેલનાં બધાં શહેરો અને ગામડાઓમાં ખુશખબર ફેલાવવાનું પૂરું કરો એ પહેલાં માણસનો દીકરો આવી પહોંચશે. ૨૪  “શિષ્ય પોતાના ગુરુ કરતાં અને દાસ પોતાના માલિક કરતાં મોટો નથી.+ ૨૫  શિષ્ય પોતાના ગુરુ જેવો અને દાસ પોતાના માલિક જેવો બને એટલું પૂરતું છે.+ જો લોકોએ માલિકને બાલઝબૂલ* કહ્યો,+ તો તેના ઘરના બધાને એથીયે વધારે કહેશે એમાં શું શંકા! ૨૬  એ માટે તેઓથી ડરશો નહિ, કેમ કે એવું કંઈ જ સંતાડેલું નથી જે ખુલ્લું પાડવામાં નહિ આવે અને એવું કંઈ જ ખાનગી નથી જે જાહેર કરવામાં નહિ આવે.+ ૨૭  હું તમને અંધારામાં જે જણાવું છું, એ અજવાળામાં કહો અને હું તમને કાનમાં જે કહું છું, એ છાપરે ચઢીને જાહેર કરો.+ ૨૮  જેઓ તમને મારી નાખી શકે છે પણ ભાવિમાં મળનાર જીવન છીનવી શકતા નથી, તેઓથી ડરશો નહિ.+ એના બદલે, જે તમારો નાશ ગેહેન્‍નામાં* કરી શકે છે, તેમનાથી ડરો.+ ૨૯  શું બે ચકલીઓ એક પૈસે* વેચાતી નથી? તોપણ એમાંની એક પણ તમારા પિતાના ધ્યાન બહાર જમીન પર પડતી નથી.+ ૩૦  તમારાં માથાંના બધા વાળ પણ ગણેલા છે. ૩૧  બીશો નહિ, તમે ઘણી ચકલીઓ કરતાં વધારે મૂલ્યવાન છો.+ ૩૨  “એ માટે લોકો આગળ જે કોઈ મારો સ્વીકાર કરે છે,+ તેનો સ્વીકાર હું પણ સ્વર્ગમાંના મારા પિતા આગળ કરીશ.+ ૩૩  પણ લોકો આગળ જે કોઈ મને ઓળખવાની ના પાડે છે, તેને હું પણ સ્વર્ગમાંના મારા પિતા આગળ ઓળખવાની ના પાડીશ.+ ૩૪  એમ ન ધારતા કે હું પૃથ્વી પર શાંતિ લાવવા આવ્યો છું. હું શાંતિ લાવવા નહિ, પણ ભાગલા પાડવા* આવ્યો છું.+ ૩૫  હા, હું ભાગલા પાડવા આવ્યો છું. દીકરો તેના પિતા વિરુદ્ધ, દીકરી તેની મા વિરુદ્ધ, વહુ તેની સાસુ વિરુદ્ધ થશે.+ ૩૬  માણસના દુશ્મનો તો તેના ઘરના જ લોકો હશે. ૩૭  પિતા કે માતા પર જે કોઈ મારા કરતાં વધારે પ્રેમ રાખે છે, તે મારો શિષ્ય થવા યોગ્ય નથી. દીકરા કે દીકરી પર જે કોઈ મારા કરતાં વધારે પ્રેમ રાખે છે, તે મારો શિષ્ય થવા યોગ્ય નથી.+ ૩૮  જે કોઈ પોતાનો વધસ્તંભ* ઊંચકીને મારી પાછળ આવતો નથી, તે મારો શિષ્ય થવા યોગ્ય નથી.+ ૩૯  જે કોઈ પોતાનું જીવન બચાવે છે તે એને ગુમાવશે. પણ જે કોઈ મારે લીધે પોતાનું જીવન ગુમાવે છે તે એને મેળવશે.+ ૪૦  “જે કોઈ તમારો સ્વીકાર કરે છે, તે મારો પણ સ્વીકાર કરે છે. જે કોઈ મારો સ્વીકાર કરે છે, તે મને મોકલનારનો પણ સ્વીકાર કરે છે.+ ૪૧  જે કોઈ પ્રબોધકનો સ્વીકાર પ્રબોધક તરીકે કરે છે, તેને પ્રબોધક જેવો બદલો મળશે.+ જે કોઈ નેક માણસનો સ્વીકાર નેક માણસ તરીકે કરે છે, તેને નેક માણસ જેવો બદલો મળશે. ૪૨  હું તમને સાચે જ કહું છું કે જો કોઈ આ નાનાઓમાંથી એકને મારો શિષ્ય હોવાને લીધે એક પ્યાલો ઠંડું પાણી પાશે, તો તેને જરૂર એનું ઇનામ મળશે.”+

ફૂટનોટ

શબ્દસૂચિમાં “દુષ્ટ દૂતો” જુઓ.
“પિતર” માટે પાંચ અલગ અલગ નામ વપરાયાં છે: અહીં “સિમોન જે પિતર કહેવાય છે;” માથ ૧૬:૧૬માં “સિમોન પિતર;” પ્રેકા ૧૫:૧૪માં “સિમઓન;” યોહ ૧:૪૨માં “કેફાસ;” માથ ૧૪:૨૮ની જેમ મોટા ભાગે “પિતર.”
નથાનિયેલ પણ કહેવાતો. યોહ ૧:૪૬; ૨૧:૨ જુઓ.
લેવી તરીકે પણ જાણીતો હતો. લૂક ૫:૨૭ જુઓ.
તે “યાકૂબનો દીકરો યહૂદા” પણ કહેવાતો. લૂક ૬:૧૬; યોહ ૧૪:૨૨; પ્રેકા ૧:૧૩ જુઓ.
અથવા, “ઉત્સાહી.”
અથવા, “કોઢિયાઓને.” શબ્દસૂચિ જુઓ.
અથવા, “વધારાનું કપડું.”
એ જવાબદારી પૂરી થવાને બતાવે છે.
મૂળ, “મારા નામને લીધે.”
અથવા, “ધીરજ રાખીને સહન કરે છે.”
શેતાન માટે વપરાયેલો ખિતાબ. શબ્દસૂચિ જુઓ.
મૂળ, “એક અસારિયન.” એ ૪૫ મિનિટના કામની મજૂરી હતી. વધારે માહિતી ખ-૧૪ જુઓ.
મૂળ, “તલવાર ચલાવવા.”