હિબ્રૂઓને પત્ર ૨:૧-૧૮

  • પહેલાં કરતાં વધારે ધ્યાન આપીએ (૧-૪)

  • બધી વસ્તુઓ ઈસુને આધીન કરવામાં આવી (૫-૯)

  • ઈસુ અને તેમના ભાઈઓ (૧૦-૧૮)

    • તેઓના તારણના મુખ્ય આગેવાન (૧૦)

    • દયાળુ પ્રમુખ યાજક (૧૭)

 એ માટે જરૂરી છે કે આપણે જે સાંભળ્યું છે એના પર પહેલાં કરતાં વધારે ધ્યાન આપીએ,+ જેથી આપણે શ્રદ્ધામાંથી કદી ફંટાઈ ન જઈએ.+ ૨  કેમ કે જો દૂતો દ્વારા અપાયેલો સંદેશો*+ સાચો હોય અને જો નિયમ તોડનારને અને એ ન માનનારને ન્યાય પ્રમાણે સજા થઈ હોય,+ ૩  તો મહાન તારણને નકામું ગણીને* આપણે કઈ રીતે બચી શકીએ?+ કેમ કે આપણા માલિક ઈસુએ સૌથી પહેલા એ તારણ વિશે જણાવ્યું+ અને જેઓએ એ સાંભળ્યું, તેઓએ આપણને એની ખાતરી આપી. ૪  ઈશ્વરે પણ એની સાક્ષી આપી. એ સાક્ષી આપવા તેમણે ચમત્કારો,* અનેક શક્તિશાળી અને અદ્‍ભુત કામો કર્યાં+ અને પોતાની ઇચ્છા પ્રમાણે પવિત્ર શક્તિ* આપી.+ ૫  અમે જેની વાત કરીએ છીએ એ આવનાર દુનિયા દૂતોને આધીન કરવામાં આવી નથી.+ ૬  પણ ક્યાંક એક સાક્ષીએ જણાવ્યું છે: “મને થાય છે કે મનુષ્ય કોણ કે તમે તેને યાદ રાખો અથવા માણસનો દીકરો* કોણ કે તમે તેની સંભાળ રાખો.+ ૭  તમે તેને દૂતો કરતાં થોડું ઊતરતું સ્થાન આપ્યું. તેને ગૌરવ અને માન-મહિમાનો તાજ પહેરાવ્યો. તમે તમારા હાથનાં કામો પર તેને અધિકાર આપ્યો. ૮  તમે બધી જ વસ્તુઓ તેના પગ નીચે મૂકીને આધીન કરી.”+ બધું જ તેમને આધીન કરીને+ ઈશ્વરે એવું કંઈ પણ બાકી રાખ્યું નથી, જે તેમને આધીન કરવામાં આવ્યું ન હોય.+ જોકે, હમણાં આપણે બધી વસ્તુઓ તેમને આધીન થયેલી જોતા નથી.+ ૯  પણ આપણે ઈસુને જોઈએ છીએ, જેમને દૂતો કરતાં થોડું ઊતરતું સ્થાન આપવામાં આવ્યું.+ મરણ સહન કર્યું+ હોવાથી તેમને હમણાં ગૌરવ અને માન-મહિમાનો તાજ પહેરાવવામાં આવ્યો છે. ઈશ્વરની અપાર કૃપાને* લીધે તેમણે દરેક મનુષ્ય માટે મરણ સહન કર્યું છે.+ ૧૦  દરેક વસ્તુ ઈશ્વરના મહિમા માટે અને તેમના દ્વારા ઉત્પન્‍ન થઈ છે. એટલે એ યોગ્ય હતું કે ઈશ્વર ઘણા દીકરાઓને મહિમામાં લાવવા+ તેઓના તારણના મુખ્ય આગેવાનને+ તકલીફોમાંથી પસાર થવા દે અને તેમને પરિપૂર્ણ બનાવે.+ ૧૧  જે પવિત્ર કરે છે અને જેઓને પવિત્ર કરવામાં આવે છે,+ તેઓ બધા એક જ પિતાના દીકરાઓ છે.+ એટલે જ ઈસુ તેઓને પોતાના ભાઈઓ કહેતા શરમાતા નથી.+ ૧૨  તે કહે છે: “હું મારા ભાઈઓમાં તમારું નામ જાહેર કરીશ. મંડળમાં હું ગીત ગાઈને તમારો જયજયકાર કરીશ.”+ ૧૩  ફરીથી તે કહે છે: “હું તેમના પર ભરોસો કરીશ.”+ વધુમાં તે કહે છે: “જુઓ, હું અને યહોવાએ* મને આપેલાં બાળકો.”+ ૧૪  એ “બાળકો” લોહી અને માંસનાં છે, એટલે ઈસુ પણ લોહી અને માંસના બન્યા,+ જેથી તે પોતાના મરણ દ્વારા મરણ પર સત્તા ધરાવનાર+ શેતાનનો*+ નાશ કરી શકે. ૧૫  એટલું જ નહિ, મરણની બીકને લીધે જેઓ આખી જિંદગી ગુલામીમાં હતા, તેઓને તે આઝાદ કરી શકે.+ ૧૬  હકીકતમાં, તે દૂતોને નહિ, પણ ઇબ્રાહિમના વંશજને મદદ કરી રહ્યા છે.+ ૧૭  એ માટે જરૂરી હતું કે તે બધી રીતે પોતાના “ભાઈઓ” જેવા બને,+ જેથી ઈશ્વરની સેવામાં તે દયાળુ અને વફાદાર પ્રમુખ યાજક* બની શકે અને લોકોનાં પાપ માટે+ પ્રાયશ્ચિત્તનું બલિદાન ચઢાવી શકે.*+ ૧૮  જ્યારે તેમની કસોટી કરવામાં આવી, ત્યારે તેમણે દુઃખ સહન કર્યું,+ એટલે હવે જેઓની કસોટી કરવામાં આવે છે, તેઓને તે મદદ કરી શકે છે.+

ફૂટનોટ

એટલે કે, મૂસાનું નિયમશાસ્ત્ર.
અથવા, “ધ્યાન ન આપીને.”
અથવા, “અદ્‍ભુત કામો.”
શબ્દસૂચિમાં “ડીઆબોલોસ” જુઓ.
અથવા, “સુલેહ કરવા બલિદાન ચઢાવી શકે; પ્રાયશ્ચિત્ત કરી શકે.”