સ્કીપ ટુ કન્ટેન્ટ

યુવાનો પૂછે છે

શું સજાતીય સંબંધો ખોટા છે?

શું સજાતીય સંબંધો ખોટા છે?

 “જેમ જેમ હું મોટો થતો ગયો, તેમ તેમ હું છોકરાઓ તરફ આકર્ષાવા લાગ્યો. એ મારા માટે સૌથી મોટી મુશ્કેલી હતી. મને હતું કે હું મોટો થઈશ ત્યારે એ લાગણીઓ જતી રહેશે, પણ એ લાગણીઓ જવાનું નામ જ લેતી ન હતી.”—૨૩ વર્ષનો ડેવિડ.

 ડેવિડ એક ઈશ્વરભક્ત છે અને તે ઈશ્વરની કૃપા મેળવવા માંગે છે. પણ જો તે બીજા છોકરાઓ તરફ આકર્ષાતો હોય, તો શું તે ઈશ્વરની કૃપા મેળવી શકે? સજાતીય સંબંધો વિશે ઈશ્વરને કેવું લાગે છે?

 પવિત્ર શાસ્ત્ર શું કહે છે?

 સજાતીય સંબંધો વિશે અલગ અલગ સમાજના અલગ અલગ વિચારો હોય છે. એટલું જ નહિ, જમાનો બદલાય એમ વિચારો પણ બદલાતા રહે છે. પણ ઈશ્વરભક્તો દુનિયાના પ્રચલિત વિચારો પ્રમાણે નથી ચાલતા અને ‘ખોટા શિક્ષણના પવનથી અહીંતહીં ડોલા ખાતા’ નથી. (એફેસીઓ ૪:૧૪) એને બદલે, તેઓ બાઇબલના શિક્ષણ પ્રમાણે ચાલે છે, પછી ભલે સજાતીય સંબંધોની વાત હોય કે બીજા કશાની.

 બાઇબલમાં સાફ સાફ જણાવ્યું છે કે સજાતીય સંબંધો વિશે ઈશ્વરના વિચારો કેવા છે. બાઇબલમાં લખ્યું છે:

  •  “કોઈ પુરુષ જેમ સ્ત્રી સાથે જાતીય સંબંધ બાંધે છે, એમ બીજા પુરુષ સાથે જાતીય સંબંધ ન બાંધે. એ ધિક્કારને લાયક કામ છે.”—લેવીય ૧૮:૨૨.

  •  ‘ઈશ્વરે તેઓનાં હૃદયની લાલસા પ્રમાણે તેઓને અશુદ્ધ કામો કરવા દીધાં, જેથી તેઓ બેશરમ બનીને પોતાની વાસના પૂરી કરે. સ્ત્રીઓ પુરુષો સાથે જાતીય સંબંધ બાંધવાને બદલે, કુદરત વિરુદ્ધ જાતીય સંબંધ બાંધવા લાગી.’—રોમનો ૧:૨૪, ૨૬.

  •  “છેતરાશો નહિ! વ્યભિચારી, મૂર્તિપૂજક, પુરુષ સાથે સંબંધ બાંધનાર પુરુષ, ચોર, લોભી, દારૂડિયો, અપમાન કરનાર અને જોરજુલમથી પૈસા પડાવનારને ઈશ્વરના રાજ્યનો વારસો મળશે નહિ.”—૧ કોરીંથીઓ ૬:૯, ૧૦.

 ઈશ્વરના સિદ્ધાંતો દરેક વ્યક્તિને લાગુ પડે છે, પછી ભલે એ સજાતીય સંબંધ બાંધતી હોય, કે પછી વિરુદ્ધ જાતિની વ્યક્તિ સાથે સંબંધ બાંધતી હોય. મુખ્ય મુદ્દો એ છે કે, દરેકે પોતાના પર કાબૂ રાખવાની જરૂર છે, જેથી ઈશ્વરને પસંદ નથી એવી લાલસાના ફાંદામાં ફસાઈ ન જાય.—કોલોસીઓ ૩:૫.

 એનો અર્થ શું થાય?

 શું એનો એવો અર્થ થાય કે સજાતીય સંબંધો બાંધનાર લોકોને નફરત કરવી જોઈએ?

 ના. બાઇબલ કોઈને નફરત કરવાનું નથી કહેતું, પછી ભલેને તેઓ સજાતીય સંબંધો બાંધનાર હોય કે ન હોય. બાઇબલ તો કહે છે કે લોકો ઈશ્વરની ઇચ્છા પ્રમાણે ન જીવતા હોય, તોપણ “બધા લોકો સાથે શાંતિથી રહેવા મંડ્યા” રહેવું જોઈએ. (હિબ્રૂઓ ૧૨:૧૪) એટલે સજાતીય સંબંધો બાંધનાર લોકો સાથે ખરાબ વ્યવહાર કરવો એ ખોટું છે.

 શું એનો એવો અર્થ થાય કે ઈશ્વરભક્તોએ સજાતીય લગ્‍નોને ટેકો આપતા નિયમોનો વિરોધ કરવો જોઈએ?

 બાઇબલમાં જણાવ્યું છે કે ઈશ્વર ચાહે છે કે એક પુરુષ અને એક સ્ત્રી એકબીજા સાથે લગ્‍ન કરે. (માથ્થી ૧૯:૪-૬) પણ સજાતીય લગ્‍નો વિશેના કાયદા રાજકીય બાબત છે, એને માણસોના વિચારો પ્રમાણે બનાવવામાં આવ્યા છે. એને ઈશ્વરનાં ધોરણો સાથે કોઈ લેવા-દેવા નથી. બાઇબલમાં જણાવ્યું છે કે ઈશ્વરભક્તોએ રાજકીય બાબતોમાં કોઈનો પક્ષ ન લેવો જોઈએ. (યોહાન ૧૮:૩૬) એટલે, ઈશ્વરભક્તો સજાતીય સંબંધોને લગતા કાયદાને ટેકો નથી આપતા કે એનો વિરોધ પણ નથી કરતા.

 બીજા સવાલો

 જો કોઈ વ્યક્તિ સજાતીય સંબંધ બાંધતી હોય, તો શું? શું તે બદલાઈ શકે છે?

 હા. પહેલી સદીના અમુક ખ્રિસ્તીઓએ પોતાનામાં ફેરફાર કર્યા હતા અને એવા સંબંધો બાંધવાનું છોડી દીધું હતું. સજાતીય સંબંધો બાંધનારને ઈશ્વરના રાજ્યનો વારસો નહિ મળે એવું લખ્યા પછી, બાઇબલ કહે છે: “તમારામાંથી અમુક એવા જ હતા.”—૧ કોરીંથીઓ ૬:૧૧.

 શું એનો એવો અર્થ થાય કે જે વ્યક્તિએ સજાતીય સંબંધ બાંધવાનું છોડી દીધું છે, તેને ફરી કદી એવો સંબંધ બાંધવાની ઇચ્છા નહિ થાય? ના, એવું નથી. બાઇબલ કહે છે: “નવો સ્વભાવ પહેરી લો. જ્યારે આપણે ઈશ્વરને સારી રીતે ઓળખીએ છીએ, ત્યારે તે આપણને એ નવો સ્વભાવ આપે છે.” (કોલોસીઓ ૩:૧૦) એટલે, આપણે હંમેશાં સ્વભાવમાં સુધારો કરતા રહેવું જોઈએ.

 પણ જો કોઈ વ્યક્તિ ઈશ્વરનાં ધોરણો પ્રમાણે ચાલવા માંગતી હોય અને તેને હજીયે સજાતીય સંબંધ બાંધવાની ઇચ્છા થતી હોય, તો શું?

 બીજી ઇચ્છાઓની જેમ આ કિસ્સામાં પણ વ્યક્તિ પોતે નક્કી કરી શકે છે કે તેણે પોતાના પર કાબૂ રાખવો કે નહિ. વ્યક્તિ કઈ રીતે કાબૂ રાખી શકે? બાઇબલ કહે છે: “પવિત્ર શક્તિના માર્ગદર્શન પ્રમાણે ચાલતા રહો. એમ કરશો તો તમે શરીરની પાપી ઇચ્છા પ્રમાણે નહિ ચાલો.”—ગલાતીઓ ૫:૧૬.

 ધ્યાન આપો કે એ કલમમાં એવું નથી લખ્યું કે વ્યક્તિના મનમાં શરીરની પાપી ઇચ્છા નહિ જાગે. પણ જો તે બાઇબલમાં શીખતી રહેશે અને પ્રાર્થના કરતી રહેશે, તો તેને એવી ઇચ્છાઓ સામે લડવા તાકાત મળશે.

 આ લેખની શરૂઆતમાં આપણે ડેવિડ વિશે જોઈ ગયા. તેને પણ બાઇબલ અને પ્રાર્થનાથી ઘણી મદદ મળી, ખાસ કરીને મમ્મી-પપ્પા સાથે વાત કર્યા પછી. તે કહે છે: “મને એવું લાગ્યું કે જાણે મારા માથેથી ભારે બોજ ઊતરી ગયો. જો મેં પહેલાં જ તેઓ સાથે વાત કરી હોત, તો મારી તરુણાવસ્થાના દિવસો વધારે સારી રીતે વીત્યા હોત.”

 હા, જો યહોવાના નિયમો પાળીશું, તો હંમેશાં ખુશ રહી શકીશું. આપણને પૂરો ભરોસો છે કે તેમના નિયમો “સાચા છે, એ અંતરમાં આનંદ છલકાવે છે” અને “તેઓને પાળવાથી મોટું ઇનામ મળે છે.”—ગીતશાસ્ત્ર ૧૯:૮, ૧૧.