પાઠ ૪
ઈસુ ખ્રિસ્ત કોણ છે?
૧. ઈસુના જીવનની શરૂઆત કેવી રીતે થઈ?
ઈસુ બીજા મનુષ્યો કરતાં સાવ અલગ હતા. કઈ રીતે? તે પૃથ્વી પર મનુષ્ય તરીકે આવ્યા એ પહેલાં સ્વર્ગમાં રહેતા હતા. (યોહાન ૮:૨૩) તેમને ઈશ્વરે સૌથી પહેલા બનાવ્યા હતા. પછી વિશ્વની બધી જ વસ્તુઓ બનાવવા તેમણે ઈશ્વરને મદદ કરી. યહોવાએ પોતાના હાથે ઈસુને ઉત્પન્ન કર્યા હતા, એટલે તેમને ઈશ્વરના “એકાકીજનિત” દીકરા કહેવામાં આવે છે. (યોહાન ૧:૧૪) તેમણે ઈશ્વર વતી સંદેશો આપનાર તરીકે કામ કર્યું હતું, એટલે તે “શબ્દ” તરીકે પણ ઓળખાય છે.
૨. ઈસુ પૃથ્વી પર શા માટે આવ્યા?
ઈશ્વરે પોતાના દીકરાને પૃથ્વી પર મોકલવા એક ગોઠવણ કરી. તેમણે ઈસુનું જીવન કુંવારી મરિયમના ગર્ભમાં મૂક્યું. આમ ઈસુને કોઈ માનવ પિતા ન હતા. (લુક ૧:૩૦-૩૫) ઈસુ પૃથ્વી પર ત્રણ કારણોને લીધે આવ્યા હતા: (૧) આપણને ઈશ્વર વિષેનું સત્ય શીખવવા, (૨) મુશ્કેલીઓમાં પણ ઈશ્વરની ઇચ્છા પ્રમાણે કેવી રીતે જીવવું એનો દાખલો બેસાડવા, (૩) આપણને પાપમાંથી છોડાવવા માટે ‘પોતાનું જીવન આપવા.’
૩. આપણને શામાંથી છૂટકારાની જરૂર છે?
ઈશ્વરે મનુષ્યને બનાવ્યો ત્યારે, તેમનો એવો હેતુ નહોતો કે તે ઘરડો થાય અને મરી જાય. આપણે એમ કેવી રીતે કહી શકીએ? ઈશ્વરે પ્રથમ મનુષ્ય આદમને જણાવ્યું હતું કે તે આજ્ઞા નહિ પાળે તો મરણ પામશે. આજ્ઞા નહિ પાળવાને બાઇબલ પાપ કહે છે. જો આદમે એ પાપ કર્યું ન હોત, તો કદી મર્યો ન હોત. (ઉત્પત્તિ ૨:૧૬, ૧૭; ૫:૫) પણ આદમે પાપ કર્યું હોવાથી, પોતાનાં વંશજોમાં પાપનો “પ્રસાર” કર્યો અને તેઓ પર મરણ આવ્યું. જરા વિચાર કરો: જો કોઈ વ્યક્તિનું અપહરણ થયું હોય અને તેનો જીવ જોખમમાં હોય, તો તેને છોડાવવા કિંમત ચૂકવવી પડે છે. (નિર્ગમન ૨૧:૨૯, ૩૦) એવી જ રીતે, જો આપણે આદમથી મળેલા પાપ અને મરણમાંથી છૂટવું હોય, તો કોઈકે કિંમત ચૂકવવી પડે.
આપણે મરણ પામીએ ત્યારે, ફક્ત પોતાના જ પાપની કિંમત ચૂકવીએ છીએ. તેથી, કોઈ પણ માણસ બીજાના પાપની કિંમત ચૂકવી શકતો નથી. એટલે, સવાલ થાય કે આપણને પાપ અને મરણમાંથી છોડાવવા કોણ કિંમત ચૂકવી શકે?
૪. ઈસુ શા માટે મરણ પામ્યા?
ઈસુ આપણા જેવા નહોતા. તેમનામાં પાપનો છાંટોય ન હતો. એટલે તેમણે પોતાનાં પાપો માટે મરણની સજા ભોગવવાની ન હતી. ઈસુ તો સર્વ લોકોનાં પાપ માટે મરણ પામ્યા. ઈશ્વરે પોતાના દીકરાનું બલિદાન આપીને મનુષ્યો માટે અપાર પ્રેમ બતાવ્યો. ઈસુએ પણ આપણને એવો જ પ્રેમ બતાવ્યો છે. પિતા યહોવાની આજ્ઞા પાળીને, તેમણે આપણાં પાપોને માટે પોતાનો જીવ આપી દીધો.
૫. ઈસુ હમણાં શું કરી રહ્યા છે?
ઈસુ પૃથ્વી પર હતા ત્યારે તેમણે લોકોનું દુઃખ હળવું કર્યું; બીમારોને સાજા કર્યા અને ગુજરી ગયેલાઓને જીવતા કર્યા. આમ, ઈસુએ બતાવી આપ્યું કે ઈશ્વરને માર્ગે ચાલતા લોકો માટે તે ભાવિમાં શું કરશે. (માથ્થી ૧૫:૩૦, ૩૧; યોહાન ૫:૨૮) ઈસુના મરણ પછી ઈશ્વરે તેમને સ્વર્ગદૂતના રૂપમાં જીવતા કર્યા. (એફેસી ૧:૨૦) ઈસુ સ્વર્ગમાં ગયા પછી યહોવાના જમણા હાથે બેઠા. ધરતી પર રાજ કરવાનો અધિકાર મળ્યો ત્યાં સુધી તેમણે રાહ જોઈ. (હેબ્રી ૧૦:૧૨, ૧૩) હાલમાં તે સ્વર્ગમાં રાજા છે. એ વિષેની ખુશખબર તેમના શિષ્યો આખી ધરતી પર ફેલાવી રહ્યા છે.
જલદી જ રાજા ઈસુ આ દુનિયામાંથી દુઃખ-તકલીફો દૂર કરશે! ખરાબ લોકોનો પણ તે નાશ કરશે. જે લોકો ઈસુમાં વિશ્વાસ મૂકે છે અને તેમની આજ્ઞા પાળે છે, તેઓ સુંદર ધરતી પર કાયમ જીવવાનો આશીર્વાદ મેળવશે!