સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પાઠ ૯

તમારું કુટુંબ કઈ રીતે સુખી થઈ શકે?

તમારું કુટુંબ કઈ રીતે સુખી થઈ શકે?

૧. સુખી કુટુંબ માટે કાયદેસર લગ્ન કરવા કેમ જરૂરી છે?

આપણને ખુશખબર આપનારા આનંદી ઈશ્વર યહોવા, કુટુંબોને સુખી જોવા ચાહે છે. તેમણે જ લગ્ન ગોઠવણની શરૂઆત કરી છે. સુખી કુટુંબ માટે કાયદેસર લગ્ન કરવા મહત્ત્વનું છે. એનાથી બાળકોના ઉછેર માટે સારો માહોલ મળી રહે છે.

લગ્નને ઈશ્વર કેવું ગણે છે? તે ચાહે છે કે પુરુષ અને સ્ત્રીનું લગ્નબંધન કાયમ ટકી રહે. જેઓ ઈશ્વરનું માને છે, તેઓએ દેશના કાયદા ધ્યાનમાં રાખીને લગ્નની નોંધણી (રજીસ્ટર) કરાવવી જોઈએ. (લુક ૨:૧, ૪, ૫) યહોવા ચાહે છે કે પતિ અને પત્ની એકબીજાને વફાદાર રહે. (હિબ્રૂ ૧૩:૪) છૂટાછેડાને યહોવા ધિક્કારે છે. (માલાખી ૨:૧૬) તેમ છતાં, જો લગ્નસાથી વ્યભિચાર કરે, તો યહોવા નિર્દોષ સાથીને છૂટાછેડા લેવાની અને ફરી લગ્ન કરવાની પરવાનગી આપે છે.માથ્થી ૧૯:૩-૬,  વાંચો.

૨. પતિ-પત્નીએ એકબીજા સાથે કઈ રીતે વર્તવું જોઈએ?

યહોવાએ પતિ-પત્નીને એકબીજાના સહાયક બનાવ્યા છે. (ઉત્પત્તિ ૨:૧૮) પતિની મુખ્ય જવાબદારી છે કે કુટુંબની જીવન-જરૂરિયાતો પૂરી પાડે અને ઈશ્વર વિષે શીખવે. પતિએ પહેલા પોતાનો નહિ, પણ પત્નીનો વિચાર કરવો જોઈએ. પતિ-પત્નીએ એકબીજાને દિલથી પ્રેમ અને માન બતાવવા જોઈએ. ખરું કે પતિ-પત્નીથી ભૂલો તો થશે જ, એટલે મહત્ત્વનું છે કે તેઓ એકબીજાને માફ કરતા શીખે. સુખી કુટુંબની આ એક ચાવી છે.એફેસી ૪:૩૧, ૩૨; ૫:૨૨-૨૫, ૩૩; ૧ પીતર ૩:૭ વાંચો.

૩. લગ્નજીવન સુખી ન હોય તો શું અલગ થઈ જવું જોઈએ?

તમારા લગ્નજીવનમાં મુશ્કેલીઓ આવે તોપણ, એકબીજા સાથે પ્રેમથી વર્તવા પ્રયત્નો કરવા જોઈએ. (૧ કોરીંથી ૧૩:૪, ૫) લગ્નજીવનમાં તકલીફો તો ઊભી થશે જ. પરંતુ, બાઇબલ ઉત્તેજન નથી આપતું કે એને થાળે પાડવા અલગ થઈ જવું જોઈએ.૧ કોરીંથી ૭:૧૦-૧૩ વાંચો.

૪. બાળકો, તમારા માટે ઈશ્વર શું ચાહે છે?

યહોવા ઈશ્વર તમને ખુશ જોવા ચાહે છે. તમે યુવાનીનો આનંદ માણી શકો, એ માટે તે સૌથી સારી સલાહ આપે છે. તે ચાહે છે કે તમારાં માબાપના અનુભવ અને જ્ઞાનથી તમને લાભ થાય. (કોલોસી ૩:૨૦) યહોવા એ પણ ચાહે છે કે તમે તેમની અને તેમના દીકરા ઈસુની ઇચ્છા પ્રમાણે જીવો અને એનો આનંદ માણો.સભાશિક્ષક ૧૧:૯–૧૨:૧; માથ્થી ૧૯:૧૩-૧૫; ૨૧:૧૫, ૧૬ વાંચો.

૫. માબાપો, તમારાં બાળકોને કેવી રીતે સુખી બનાવી શકો?

બાળકો માટે રોટી, કપડાં અને મકાન પૂરાં પાડવા તમારે મહેનત કરવી જોઈએ. (૧ તીમોથી ૫:૮) બાળકો સુખી બને એ માટે, ઈશ્વરને પ્રેમ કરતા અને તેમનું શિક્ષણ લેતા તેઓને શીખવવું જોઈએ. (એફેસી ૬:૪) ઈશ્વરને પ્રેમ કરવામાં તમે જે દાખલો બેસાડો છો એ જોઈને બાળકના દિલ પર ઊંડી અસર થશે. તમારી સલાહ બાઇબલને આધારે હશે તો, બાળકો સારું વિચારતા શીખશે.પુનર્નિયમ ૬:૪-૭; નીતિવચનો ૨૨:૬ વાંચો.

જ્યારે તમે બાળકોને ઉત્તેજન આપો છો અને વખાણ કરો છો, ત્યારે તેઓને લાભ થાય છે. તેઓને સુધારવાની અને શિસ્ત આપવાની પણ જરૂર પડે છે. આવી કેળવણી બાળકોને એવાં કામો કરતા અટકાવે છે, જે તેઓની ખુશી છીનવી લે. (નીતિવચનો ૨૨:૧૫) તેમ છતાં, શિસ્ત આપો ત્યારે કદી પણ કઠોર કે ક્રૂર બનશો નહિ.કોલોસી ૩:૨૧ વાંચો.

માબાપો અને બાળકોને જરૂરી મદદ પૂરી પાડવા યહોવાના સાક્ષીઓએ ઘણાં પુસ્તકો બહાર પાડ્યાં છે. એ પુસ્તકો બાઇબલ આધારિત છે.ગીતશાસ્ત્ર ૧૯:૭, ૧૧ વાંચો.