ગુણ ૬
સારા સંસ્કાર ખૂબ જરૂરી છે
સારા સંસ્કાર હોવાનો શો અર્થ થાય?
જે વ્યક્તિને સારા સંસ્કાર મળ્યા હોય, તે ખરું-ખોટું સારી રીતે પારખી શકે છે. ફક્ત એક સંજોગને આધારે નક્કી ન કરી શકાય કે વ્યક્તિમાં કેવા સંસ્કાર છે. પણ સિદ્ધાંતોના આધારે સંસ્કારો રચાય છે. વ્યક્તિનાં વાણી-વર્તન એ સિદ્ધાંતો પ્રમાણે હોય છે. કોઈ તેને જોતું ન હોય ત્યારે પણ તે યોગ્ય રીતે વર્તે છે.
શા માટે જરૂરી છે?
ખરું શું છે અને ખોટું શું છે એ વિશેના ખોટા વિચારો બાળકોના મનમાં ઠસાવવામાં આવે છે. જેમ કે, સ્કૂલમાંથી, સંગીતમાંથી કે પછી ફિલ્મો અને ટીવી કાર્યક્રમોમાંથી. એ બધાના લીધે પોતાના સંસ્કારો પ્રમાણે વર્તવું બાળક માટે અઘરું થઈ પડે.
તરુણો માટે તો એ વધારે અઘરું હોય છે. બિયોન્ડ ધ બિગ ટૉક નામનું પુસ્તક જણાવે છે, ‘બાળકો તરુણ થાય એ પહેલાં તેઓને સમજાવવું જોઈએ કે લોકોને પસંદ પડે એવી બાબતો કરવાનું તેઓ પર દબાણ આવી શકે. પણ એવા સમયે તેઓએ પોતાનાં સંસ્કારો અને ઇચ્છાઓ પ્રમાણે વર્તવું જોઈએ. પછી ભલે એમ કરવાથી તેના મિત્રો તેની સાથે વાત ન કરે કે ગુસ્સે થઈ જાય.’ બાળક તરુણ થાય એ પહેલાં માતાપિતાએ તેને તાલીમ આપવી જોઈએ.
કઈ રીતે શીખવી શકાય?
ખરું શું અને ખોટું શું એ બરાબર શીખવો.
પવિત્ર શાસ્ત્રનો સિદ્ધાંત: ‘પરિપક્વ થયેલા લોકોએ ખરું-ખોટું પારખવા પોતાની સમજશક્તિ વાપરીને એને કેળવી છે.’—હિબ્રૂઓ ૫:૧૪.
-
બાળકો સારા સંસ્કાર પારખી શકે એવા શબ્દો વાપરો. રોજબરોજના સંજોગો પર તેનું ધ્યાન દોરો. ફરક સમજાવવા કહો: ‘આને કહેવાય પ્રમાણિક રહેવું; આને કહેવાય પ્રમાણિક ન રહેવું.’ ‘આને કહેવાય વફાદારી; આને વફાદારી ન કહેવાય.’ ‘આને કહેવાય દયા બતાવવી. આ કિસ્સામાં દયા બતાવી નથી.’ બાળકને ધીરે ધીરે ખબર પડશે કે કેવાં કામ કરવાં જોઈએ અને કેવાં કામ ન કરવા જોઈએ.
-
તેઓને સમજાવો કે કોઈ બાબત કેમ ખરી છે કે ખોટી. આવા સવાલો પૂછી શકો: શા માટે પ્રમાણિક રહેવું સૌથી સારું કહેવાય? જૂઠું બોલવાથી કઈ રીતે મિત્રતા તૂટી જાય છે? ચોરી કરવી શા માટે ખોટું કહેવાય? સારાં કારણો આપીને બાળક સાથે ચર્ચા કરો, જેથી તે ખરું-ખોટું પારખવાનું શીખી શકે.
-
સારા સંસ્કારો હોવા શા માટે જરૂરી છે, એના પર ભાર આપો. તમે કદાચ કહી શકો: ‘જો તું પ્રમાણિક રહીશ, તો બીજાઓ તારા પર ભરોસો મૂકશે.’ અથવા તમે કહી શકો: ‘જો તું બધા સાથે સારી રીતે વર્તીશ, તો બધાને તારી સાથે રહેવું ગમશે.’
સારા સંસ્કાર તો તમારા કુટુંબની ઓળખ હોવી જોઈએ.
પવિત્ર શાસ્ત્રનો સિદ્ધાંત: “તમે પોતે જે છો એની સાબિતી આપતા રહો.”—૨ કોરીંથીઓ ૧૩:૫.
-
તમારા કુટુંબના બધા સભ્યો સારા સંસ્કાર પ્રમાણે જીવતા હોવા જોઈએ. જેથી, તમે પૂરા ભરોસાથી કહી શકો:
-
‘અમારા કુટુંબમાં કોઈ જૂઠું બોલતું નથી.’
-
‘અમારા ઘરમાં મારામારી કે બૂમ-બરાડા જોવા મળતા નથી.’
-
‘જેમ-તેમ બોલવું કે ગાળો બોલવી, અમે ચલાવી લેતા નથી.’
-
તમારું બાળક જોઈ શકશે કે, એ સંસ્કારો ફક્ત પાળવા માટેના નિયમો નથી, પણ એ તો તમારા કુટુંબની ઓળખ છે.
-
સમયે સમયે બાળકો સાથે એ વિશે વાત કરો. દરરોજના સંજોગોનો ઉદાહરણ તરીકે ઉપયોગ કરીને બાળકોને શીખવો. ટીવી પર કે સ્કૂલમાં લોકો જે રીતે વર્તે છે એની સરખામણી તમારા સંસ્કારો સાથે કરો. બાળકને આવા સવાલો પૂછી શકો: ‘એવા સંજોગોમાં તેં શું કર્યું હોત?’ ‘આપણા કુટુંબે શું કર્યું હોત?’
સંસ્કારો પાળવા તેઓને સાથ આપો.
પવિત્ર શાસ્ત્રનો સિદ્ધાંત: “તમારું અંતઃકરણ શુદ્ધ રાખો.”—૧ પીતર ૩:૧૬.
-
સારા વર્તનનાં વખાણ. જો બાળક સંસ્કારો પ્રમાણે સારો વ્યવહાર કરે, તો તેના વખાણ કરો. તેને એનું કારણ પણ જણાવો. દાખલા તરીકે, તમે કહી શકો: ‘તું સાચું બોલ્યો, મને એ જાણીને ખુશી થઈ.’ જો બાળક જણાવે કે તેનાથી કંઈ ભૂલ થઈ છે, તો દિલથી તેના વખાણ કરો. પછી તેને સુધારો કરવાનું કહો.
-
ખરાબ વર્તનમાં સુધારો. બાળકોએ જે કર્યું છે, એ તેઓએ સ્વીકારવાની જરૂર છે. એમ કરવાનું તેઓને શીખવો. બાળકોને જણાવો કે તેઓએ શું ખોટું કર્યું છે અને કુટુંબના સંસ્કારોથી એ કેમ અલગ છે. અમુક માબાપને લાગે છે કે બાળકોને એ બધું જણાવીશું તો, તેઓ નારાજ થઈ જશે. પણ તેઓને સુધારવાથી તેઓ સારું અંતઃકરણ કેળવી શકશે. એ અંતઃકરણ સારાને સારું અને ખરાબને ખરાબ ગણશે.