સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પાઠ ૦૫

બાઇબલ—ઈશ્વરનો સંદેશો

બાઇબલ—ઈશ્વરનો સંદેશો

યહોવાએ આપણને એક અમૂલ્ય ભેટ આપી છે, એ છે બાઇબલ. એ ૬૬ પુસ્તકોથી બનેલું એક મોટું પુસ્તક છે. પણ સવાલ થાય, ‘બાઇબલ આપણા સુધી કઈ રીતે પહોંચ્યું? જો એ માણસોએ લખ્યું હોય, તો એ કઈ રીતે ઈશ્વર તરફથી કહેવાય?’ આ પાઠમાં એ સવાલોના જવાબ મળશે.

૧. બાઇબલ માણસોએ લખ્યું હોય તો એ ઈશ્વર તરફથી કઈ રીતે કહેવાય?

બાઇબલ લખવામાં ૧,૬૦૦ જેટલાં વર્ષો લાગ્યાં. a એને આશરે ૪૦ લોકોએ લખ્યું, જેઓ અલગ અલગ સમાજના હતા. કોઈ ભરવાડ હતા, કોઈ રાજા, તો કોઈ માછીમાર. તોપણ બાઇબલના વિચારો એકબીજા સાથે મેળ ખાય છે. એવું લાગે કે જાણે કોઈ એક જ વ્યક્તિએ આખું બાઇબલ લખ્યું હોય. એનું કારણ એ છે કે આખું બાઇબલ યહોવા ઈશ્વરે લખાવ્યું છે. (૧ થેસ્સાલોનિકીઓ ૨:૧૩ વાંચો.) જે લોકોએ બાઇબલ લખ્યું, તેઓએ એમાં યહોવાના વિચારો લખ્યા, પોતાના નહિ. યહોવાએ પોતાના વિચારો લખાવવા પોતાની “પવિત્ર શક્તિથી” તેઓને પ્રેરણા આપી. (૨ પિતર ૧:૨૧) આમ કહી શકાય કે બાઇબલ ઈશ્વરની પ્રેરણાથી લખાયું છે, એટલે કે ઈશ્વર તરફથી છે.—૨ તિમોથી ૩:૧૬.

૨. દુનિયાના કેટલા લોકોને બાઇબલના સંદેશાથી ફાયદો થાય છે?

બાઇબલના સંદેશાથી ‘દરેક દેશ, કુળ, બોલી અને પ્રજાના’ લોકોને ફાયદો થાય છે. (પ્રકટીકરણ ૧૪:૬ વાંચો.) ઈશ્વરે ઘણી બધી ભાષાઓમાં બાઇબલ આપ્યું છે. એટલી ભાષાઓમાં તો બીજું કોઈ પુસ્તક નથી. દુનિયાના ખૂણે ખૂણે રહેતા લોકો પોતાની ભાષામાં બાઇબલ વાંચી કે સાંભળી શકે છે.

૩. યહોવાએ કઈ રીતે બાઇબલને આજ સુધી સાચવી રાખ્યું?

બાઇબલ એવી વસ્તુઓ પર લખવામાં આવતું, જે સમય જતાં ખરાબ થઈ જતી. જેમ કે, ચામડું કે પપાઈરસ છોડમાંથી બનેલો કાગળ. પણ અમુક લોકો માનતા હતા કે બાઇબલ ઈશ્વરની વાણી છે, એટલે તેઓએ એની ઘણી નકલો બનાવી, એમાંથી પણ બીજી નકલો બનાવી. ધર્મગુરુઓ અને શાસકોએ બાઇબલને મિટાવી દેવા ઘણી કોશિશ કરી. પણ એને સાચવવા કેટલાક લોકોએ પોતાનું જીવન દાવ પર લગાડી દીધું. યહોવાએ બાઇબલનો નાશ થવા ન દીધો, કેમ કે તે ચાહે છે કે તેમનો સંદેશો બધા લોકો જાણે. બાઇબલના આ શબ્દો ખરેખર સાચા પડ્યા છે: “ઈશ્વરનાં વચનો હંમેશાં ટકી રહે છે.”યશાયા ૪૦:૮.

વધારે જાણો

યહોવાએ કઈ રીતે અમુક લોકો પાસે બાઇબલ લખાવ્યું? તેમણે કઈ રીતે એને સાચવી રાખ્યું? આખી દુનિયાના લોકો બાઇબલ વાંચી શકે એ માટે તેમણે શું કર્યું? ચાલો જોઈએ.

૪. બાઇબલમાં કોના વિચારો છે?

વીડિયો જુઓ. પછી ૨ તિમોથી ૩:૧૬ વાંચો અને નીચે આપેલા સવાલોની ચર્ચા કરો.

  • બાઇબલ માણસોએ લખ્યું હોય તો એ કઈ રીતે ઈશ્વરનો સંદેશો કહેવાય?

  • શું ઈશ્વર પોતાના વિચારો માણસો પાસે લખાવી શકે? એવું કેમ માની શકીએ?

માલિક ભલે બીજા કોઈની પાસે પત્ર લખાવે, પણ એ પત્ર તો માલિક તરફથી જ કહેવાશે. એવી જ રીતે બાઇબલ માણસોએ લખ્યું છે, પણ એનો સંદેશો ઈશ્વર તરફથી છે

૫. વિરોધ છતાં બાઇબલ ટકી રહ્યું

બાઇબલ ઈશ્વર તરફથી છે. એટલે જ તેમણે એને સાચવી રાખ્યું છે. જૂના જમાનામાં ધર્મગુરુઓ લોકોને બાઇબલ વાંચવા ન દેતા. શાસકોએ પણ બાઇબલનું નામનિશાન મિટાવવા ઘણા પ્રયત્નો કર્યા. પણ અમુક લોકોએ પોતાનો જીવ જોખમમાં મૂકીને બાઇબલને સાચવી રાખ્યું. એવી એક વ્યક્તિ વિશે જાણવા વીડિયો જુઓ. પછી નીચે આપેલા સવાલની ચર્ચા કરો.

  • બાઇબલને સાચવવા લોકોએ ઘણું કર્યું છે, એ જાણીને ઘણાને બાઇબલ વાંચવાનું મન થાય છે. તમારા વિશે શું?

ગીતશાસ્ત્ર ૧૧૯:૯૭ વાંચો. પછી આ સવાલની ચર્ચા કરો:

  • બાઇબલનું ભાષાંતર કરવા અને લોકો સુધી પહોંચાડવા અમુક લોકોએ કેમ પોતાનો જીવ જોખમમાં મૂક્યો?

૬. બધા લોકો માટે એક પુસ્તક

બાઇબલ જ એક એવું પુસ્તક છે, જેનું ભાષાંતર સૌથી વધારે ભાષાઓમાં થયું છે. એ દુનિયાના લાખો-કરોડો લોકો સુધી પહોંચ્યું છે. પ્રેરિતોનાં કાર્યો ૧૦:૩૪, ૩૫ વાંચો. પછી આ સવાલોની ચર્ચા કરો:

  • ઈશ્વર કેમ ચાહે છે કે દરેક વ્યક્તિ પાસે પોતાની ભાષામાં બાઇબલ હોય?

  • આ પાઠમાંથી તમને બાઇબલની કઈ વાત સૌથી વધારે ગમી?

દુનિયાના લગભગ

૧૦૦%

લોકો પાસે

એવી ભાષામાં બાઇબલ છે, જે તેઓ સમજી શકે છે

બાઇબલ કે એનાં અમુક પુસ્તકો

૩,૦૦૦

કરતાં વધારે

ભાષાઓમાં છે

૫,૦૦,૦૦,૦૦,૦૦૦

(૫૦૦ કરોડ) જેટલાં બાઇબલ છપાયાં છે

બીજું કોઈ પુસ્તક આટલી મોટી સંખ્યામાં છપાયું નથી

અમુક લોકો કહે છે: “બાઇબલ તો જૂના જમાનાનું પુસ્તક છે, એ માણસોએ લખ્યું છે.”

  • તમને શું લાગે છે?

  • કઈ રીતે કહી શકાય કે બાઇબલ ઈશ્વર તરફથી છે?

આપણે શીખી ગયા

બાઇબલ ઈશ્વર તરફથી છે. તેમણે એને બધા લોકો સુધી પહોંચાડ્યું છે.

તમે શું કહેશો?

  • કઈ રીતે કહી શકાય કે બાઇબલ ઈશ્વરની પ્રેરણાથી લખાયું છે?

  • બાઇબલ આજ સુધી ટકી રહ્યું, એનું ઘણી ભાષાઓમાં ભાષાંતર થયું અને એ કરોડો લોકો સુધી પહોંચ્યું, એ વિશે તમને શું ગમ્યું?

  • ઈશ્વરે બાઇબલ દ્વારા તમારી સાથે વાત કરવા ઘણું કર્યું છે. એ જાણીને તમને ઈશ્વર વિશે કેવું લાગે છે?

આટલું કરો

વધારે માહિતી

જૂના જમાનાના વીંટાઓથી લઈને આપણા સુધી બાઇબલ કઈ રીતે આવ્યું, એ વિશે વાંચો.

“બાઇબલ આપણા સુધી કઈ રીતે પહોંચ્યું?” (સજાગ બનો!નો લેખ)

જાણો કે ત્રણ મુશ્કેલીઓ હોવા છતાં બાઇબલ કઈ રીતે આજ સુધી ટકી રહ્યું છે.

“બાઇબલ આજ સુધી કઈ રીતે ટકી રહ્યું?” (jw.org/hi પર આપેલો લેખ, હિંદી)

જુઓ કે કઈ રીતે અમુક લોકોએ પોતાનો જીવ જોખમમાં મૂકીને બાઇબલનું ભાષાંતર કર્યું.

બાઇબલ તેઓને પોતાના જીવથી પણ વહાલું હતું (૧૪:૨૬)

ઘણી વાર બાઇબલની નકલો બનાવવામાં આવી અને એનું ઘણી ભાષાઓમાં ભાષાંતર થયું. કઈ રીતે માની શકાય કે બાઇબલનો મૂળ સંદેશો બદલાઈ ગયો નથી?

“શું બાઇબલનો મૂળ સંદેશો બદલાઈ ગયો છે?” (jw.org/gu પર આપેલો લેખ)

a ઈસવીસન પૂર્વે ૧૫૧૩થી લઈને ઈસવીસન ૯૮ સુધી.