બધાને દિલોજાનથી પ્રેમ કરીએ
આપણે બધા આદમનાં બાળકો છીએ. એટલે એક જ પરિવારનો હિસ્સો છીએ. એક પરિવારમાં લોકોએ પ્યાર-મહોબ્બતથી રહેવું જોઈએ. એકબીજાની ઈજ્જત કરવી જોઈએ. પણ આજે એવું બહુ ઓછું જોવા મળે છે. એ જોઈને ખુદાને દુઃખ થાય છે.
પ્રેમ વિશે ખુદાની કિતાબમાં શું જણાવ્યું છે?
‘તમે જેવો પોતાના પર એવો જ પોતાના પડોશી પર પ્રેમ રાખો.’—લેવીય ૧૯:૧૮.
“તમારા દુશ્મનોને પ્રેમ કરતા રહો.” —માથ્થી ૫:૪૪.
લોકોને પ્રેમ કરવાનો શું અર્થ થાય?
ધ્યાન આપો કે ખુદાએ પોતાની કિતાબમાં મહોબ્બત વિશે શું લખાવ્યું છે. એ ૧ કોરીંથીઓ ૧૩:૪-૭માં જોવા મળે છે:
“પ્રેમ ધીરજ રાખે છે અને દયાળુ છે.”
આનો વિચાર કરો: તમારાથી કોઈ ગલતી થાય તોપણ બીજા ધીરજ રાખે અને રહેમ બતાવે ત્યારે તમને કેવું લાગશે?
“પ્રેમ ઈર્ષા કરતો નથી.”
આનો વિચાર કરો: જ્યારે બીજાઓ તમારા પર શક કરે અને તમારી ઈર્ષા કરે ત્યારે તમને કેવું લાગશે?
પ્રેમ “પોતાનો જ લાભ જોતો નથી.”
આનો વિચાર કરો: જ્યારે બીજાઓ પોતાનો જ કક્કો ખરો કરવાને બદલે, તમારું પણ સાંભળે ત્યારે તમને કેવું લાગશે?
‘કોઈએ દુઃખ પહોંચાડ્યું હોય તો પ્રેમ એનો હિસાબ રાખતો નથી.’
આનો વિચાર કરો: જ્યારે કોઈ પોતાના ગુનાઓની માફી માંગે ત્યારે ખુદા તેને માફ કરે છે. ખુદાની કિતાબમાં જણાવ્યું છે: ‘તે હંમેશાં ઠપકો આપ્યા નહિ કરે અને ગુસ્સો કર્યા નહિ કરે.’ (ગીતશાસ્ત્ર ૧૦૩:૯, કોમન લેંગ્વેજ) લોકો આપણને માફ કરે ત્યારે આપણને ખુશી થાય છે. એટલે આપણે પણ બીજાઓને માફ કરવા જોઈએ.—ગીતશાસ્ત્ર ૮૬:૫.
પ્રેમ “અન્યાયમાં ખુશ થતો નથી.”
આનો વિચાર કરો: આપણી તકલીફો જોઈને બીજાઓ ખુશ થાય ત્યારે આપણને દુઃખ થાય છે. એટલે આપણે પણ બીજાઓની તકલીફ જોઈને ખુશ થવું ન જોઈએ. પછી ભલેને તેઓ આપણી સાથે બૂરું વર્તન કરતા હોય.
ખુદાની બરકત મેળવવા આપણે બધાને પ્રેમ કરવો જોઈએ. પછી ભલે તેઓ કોઈ પણ ઉંમર, મુલ્ક કે મઝહબના હોય. પ્યાર બતાવવાની એક રીત છે, મદદની જરૂર હોય એવા લોકોને સહારો આપીએ.